મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જીવન કવન ને યાદ કરી જણાવ્યું હતું કે પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચિંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને યુગો સુધી રહેવાના છે.
ભારતીયો માટે મહાત્મા ગાંધી વહાલા બાપુ તરીકે સૌના હૃદયમાં છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી સત્ય, સ્વચ્છતા, સત્યાગ્રહ સહિત ના મંત્રોમાં સ્વચ્છતા ના મંત્રને સર્વોપરી ગણતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજ્ય બાપુના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી કરોડો પરિવારોને શૌચાલય ની સુવિધા મળે તે માટે સ્વચ્છ ભારત મિશન સફળ કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું
મહાત્મા ગાંધીએ ગ્રામ ઉદ્યોગ અને ખાદીને તેમના જીવનમાં વણી લઈને ભારતના ઉત્થાન માટે નવી દિશા આપી હતી. ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીએ ગ્રામ ઉદ્યોગ અને ખાદીને પ્રોત્સાહન આપવા ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશનને સાર્થક કરી ગ્રામીણ કારીગરોને ટેકો આપી આત્મનિર્ભર ભારતને નવું બળ પુરુ પાડ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો
સર્વધર્મ પ્રાથના સભામા આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે મહાત્મા ગાંધીજીના વિચારો દેશ અને દુનિયાના લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે. દુનિયામાં જ્યારે યુદ્ધ, સામ્યવાદ, સામ્રાજ્યવાદ અને મૂડીવાદ વ્યાપેલું હતું ત્યારે મહાત્મા ગાંધીજીની સત્ય અને અહિંસાની ક્રાંતિએ સમગ્ર વિશ્વનું એ તરફ ધ્યાન ખેંચ્યું હતું. આપણી સંસ્કૃતિમાં પ્રાર્થનાનું ખૂબ જ મહત્વ છે, વિચારશુદ્ધિ આચારશુદ્ધિ અને આત્મશુદ્ધિ માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પ્રાર્થના ઉપર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે કૃષિમંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસા ના માર્ગ ને અપનાવી આપણને સૌને કાયમી પ્રેરણા મળતી રહે તેવો સંદેશ આપ્યો છે. દુનિયાના ૧૩૩ દેશોએ મહાત્મા ગાંધીજી પર ટિકિટ બહાર પાડી છે એમ જણાવીને મંત્રીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ સામે લડત કરી અને ભારતની આઝાદી સંગ્રામમાં અહિંસાના માર્ગની પ્રેરણા આપી હતી.મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે સંગ્રહ સ્થાન ની મુલાકાત લઇ ખાદી ગ્રામ ઉદ્યોગને ગાંધી જયંતી નિમિત્તે પ્રોત્સાહન આપી કિર્તી મંદિર વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી.
કીર્તિ મંદિર ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં ગાયક કલાકાર વૃંદોએ વૈષ્ણવજન તો તેને કહીએ સહિતના ભજન પ્રાર્થના પ્રસ્તુત કરી હતી. શરૂઆતમાં કલેકટર અશોક શર્માએ મુખ્યમંત્રીને સુતરની આટી પહેરાવી સ્વાગત કર્યું હતું. શરૂઆતમાં ભાગવાતાચાર્યશ્રી રમેશભાઇ ઓઝાએ ગાંધીજીને પુષ્પાંજલી અપર્ણ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેન કારાવદરા, પુર્વ ધારાસભ્ય કરસનભાઈ ઓડેદરા, સંગઠન પ્રભારી મહેશભાઈ કશવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, રેન્જ આઇ.જી નિલેશ જાજડિયા, કલેકટર અશોક શર્મા, એસ.પી રવિ મોહન સૈનિ, જિલ્લા વિકાસ અધિકારી નીનામા, સહિતના અધિકારીઓ કર્મચારીઓ કીર્તિ મંદિર સમિતિના સભ્યો તેમજ નાગરિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.