23.9 C
Kadi
Tuesday, March 28, 2023

ભાવનગરનું ઘરેણું અને બાસ્કેટ બોલની શાન સ્વ. કિરીટ ઓઝા .


સ્વ. કિરીટ ઓઝાએ બાસ્કેટ બોલની શરૂઆત ૧૮ વર્ષની વયે શરૂ કરી હતી. તે પહેલાં ગણેશ ક્રિડામંડળમાં સામાન્ય ખેલાડી તરીકે તેઓ આવતાં હતાં. ઘરશાળા સ્કૂલમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. બાસ્કેટ બોલની રમતમાં રસ જાગ્યો ત્યારથી તેઓ જીવ્યા ત્યાં સુધી રમતથી અળગા થયાં ન હતાં. અથાગ પુરુષાર્થ અને પરિશ્રમ બાસ્કેટબોલ રમતની ટેક્નિક, મુવ શીખવાની તેમની ધગશ અને ઘેલછા, ઉત્સાહ અને લગન અનેરી હતી. સાથે- સાથે તેમની ઊંચાઈ કુદરતની આગવી દેન હતી. જેને લીધે તેઓએ બાસ્કેટબોલની રમતમાં આગવો લય કેળવેલો હતો. સવાર-સાંજ કલાકોના કલાકો ગણેશ ક્રિડા મંડળમાં તેઓ પ્રેક્ટિસ કરતાં હતાં. કોઈ ના હોય તો પણ તેઓ એકલા શૂટિંગ, બાસ્કેટ કરવાં તે તેમનો દરરોજનો ક્રમ હતો. બાસ્કેટબોલમાં તેમની સારી કેરિયરની શરૂઆત સાયન્સ કોલેજ તરફથી રમતા થયેલ સને- ૧૯૬૭ થી ૧૯૭૧ ના વર્ષગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી બાસ્કેટબોલ સ્પર્ધા તેઓ રમ્યાં હતાં. ગુજરાત તરફથી ઓપન બાસ્કેટબોલ સ્પર્ધાઓમાં નેશનલ રમ્યાં હતાં અને કેપ્ટન તરીકે આગવી કૂનેહથી ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. તેમની નિયમિત પ્રેક્ટિસ અને સમર્પિતતાને કારણે બાસ્કેટબોલની રમતને લગતી કન્ડિશનિંગ એક્સરસાઇઝ, ગણેશ ક્રિડા મંડળના હોલમાં વેટ ટ્રેનિંગ, સ્ક્રીપિંગ રનીંગ તો ખરું જ… બાસ્કેટબોલ રમતની વિવિધ ટેકનીકમાં માસ્ટરી મેળવવા ખાસ કરીને એવોર્ડ પ્લેસ ડંકીંગ, શૂટિંગ્સ અને ડિફેન્સ અંગે સતત કલાકોના કલાક સુધી તેઓ પ્રેક્ટિસ કરતાં હતાં. ભાવનગર જિલ્લામાં અન્ય સારા ખેલાડીઓ અને કોચિંગ માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર કક્ષાએ ગુજરાતની ટીમનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો તેની સંપૂર્ણ ક્રેડિટ સ્વ. કિરીટ ઓઝાને ફાળે જાય છે. ભાવનગરમાં બાસ્કેટબોલ સૌથી વધુ પ્રચલિત બનેલ તેનો શ્રેય તેમને જાય છે. તેનાથી ભાવનગરમાં બાસ્કેટ બોલ અંગેનું એક આગવું આકર્ષણ ઊભું થયું હતું. ગણેશ ક્રિડા મંડળમાં સ્વામીરાવ કપ ટુર્નામેન્ટ જોવાં માટે એક સમયે ભારે ભીડ જમા થતી હતી. જ્યારે કિરીટની ભારતીય સંભવિત ખેલાડી તરીકે પસંદગી થઈ ત્યારે પટિયાલા ખાતે કોચિંગ કેમ્પમાં કિરીટની રમત જોઈને સ્પ્રિંગફિલ્ડ કોલેજ (યુ.એસ.એ.) ના પ્રસિદ્ધ કોચ ડો. સ્ટેઅનીઝ અને નેશનલ કોચશ્રી શામસર ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. કારણ કે તેમણે સૌથી ઓછા ફાઉલ કરવા પીવોટ પ્લેસની સારી તાલીમ હતી. તેમના તમામ સારા સમન્વયે ભારતીય ટીમમાં તેમને સ્થાન મળ્યું હતું. તે બે વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાં માટે ગયાં હતાં. વર્ષઃ ૧૯૭૨ માં મનીલા કિમ્બલીયાઇન્સ ખાતે એશિયન બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ તથા સને- ૧૯૭૪ માં નાગોયા (જાપાન) ખાતે એશિયન ગેમ્સમાં ભાગ લેવાં તેઓ ગયાં હતાં. તેમાં તેમનું ભારતીય ટીમમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આજે પણ તમને સમગ્ર ભારત બાસ્કેટબોલ ફિલ્ડમાં યાદ કરે છે. કિરીટની રમત પ્રત્યેની આગવી દ્રષ્ટિને લઈને નેશનલ કક્ષાએ રમવાં સિમેન્ટ કોર્ટની જરૂરિયાત તેમના પ્રયત્નનોને કારણે કે.એસ.એમ. સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં તૈયાર થયેલ છે. તેમનું આ યોગદાન કદી ભૂલાશે નહીં. સંસ્કાર મંડળ પાસે ચોકનું નામ સ્વ. કિરીટ ઓઝાના નામ પર આપીને તેમની ભાવનગર શહેરે તેમની યોગ્ય કદર કરી છે. ખરેખર સ્વ. કિરીટ ઓઝા ભાવનગરનું ઘરેણું અને બાસ્કેટ બોલની શાન હતાં. આજે જ્યારે ભાવનગરમાં બાસ્કેટ બોલની રમત રમાઇ રહી છે ત્યારે તેમનું સ્મરણ કરવું સ્વાભાવિક છે. ભાવનગર બાસ્કેટબોલનું હબ બન્યું તેની પાછળ સ્વ. કિરીટ ઓઝા જેવાં ખેલાડીઓનો અમૂલ્ય ફાળો છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!