સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પાણી પીવાની સુવિધા ન હોવાથી રોષની લાગણી ફેલાઇ છે. લોકોને પૈસા ખર્ચીને પાણી પીવાનો ઘાટ સર્જાતા પાણીની વ્યવસ્થાની માગ કરી હતી.
….જિલ્લામાં એસટીની સુવિધા માટે સૌથી મોટો સુરેન્દ્રનગર શહેરમાં એસટી ડેપો આવેલો છે. જુના ડેપોની જગ્યાએ નવો ડેપો બનાવવામાં આવી રહ્યો છે. જેને લઇને હંગામી બસ સ્ટેશન ઉભુ કરીને મુસાફરો માટે અંદાજે 5થી 7 વર્ષથી વ્યવસ્થા કરાઇ છે. પરંતુ આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ મુસાફરો આવી રહ્યા છે. ત્યારે આ બસ સ્ટેશનમાં એક સિન્ટેક્સની પાણીની ટાંકી મૂકીને પાણીનું પરબ મુસાફરો માટે શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી 3 ઉનાળાની સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતી હોવાની રાવ ઉઠી હતી. આ અંગે લક્ષ્મણભાઈ મકવાણા, નિખિલભાઈ પરમાર, રાધાબેન વાળા, મણીબેન વાઘેલા વગેરે જણાવ્યુ કે, આ બસ સ્ટેશનની પરબ પાણી પીવા આવીએ ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી. પાણીના નળ પણ બંધ છે. પાણીની ટાંકીમાં પાણી નથી અને પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે, ત્યાં પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે. પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. હાલ ઉનાળાના તાપથી લોકોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે. જ્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મીઓ સહિતના સ્ટાફ માટે પણ રૂ. 300 થી 400 ખર્ચીને પાણીના ટાંકા મંગાવીને પાણી પૂરું પાડવામાં આવે છે.