હાલ વીધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતાની કમર કસી છે. ત્યારે PM નરેન્દ્ર મોદી આગામી તારીખ 19ના રોજ રાજકોટની મુલાકાતે આવશે. આ દરમ્યાન તેઓ એક ભવ્ય રોડ શો કરશે. તેમજ જાહેરસભાને પણ સંબોધશે. ત્યારે PM મોદીના આ કાર્યક્રમને લઈને હાલ રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન કલેક્ટર અરુણ મહેશે જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદી સાંજના 5 કલાકે રાજકોટ આવશે. અને તેઓ અહીં બે કલાકનું રોકાણ કરશે.
PM નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધશે. આ દરમ્યાન તેઓ 6000 કરોડ રૂપીયાથી વધુના વીકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેમજ શાસ્ત્રીમેદાનમાં આયોજીત હાઉસીંગ કોન્કલેવ ખાતેની પણ મૂલાકાત લેશે. ત્યારે વડાપ્રધાનના રોડ-શો અને જનસભા અંગેની જવાબદારી ક્લાસ-1 અને 2ના 131 અધીકારીઓને સોંપવામાં આવી છે. જ્યારે રોડ-શો માટે ક્લાસ-1 અને 2ના 50 અધીકારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. PMના કાર્યક્રમના પગલે સર્કીટ હાઉસનું બુકીંગ કરવામાં આવ્યું છે. જ્યાં સુરક્ષાને ધ્યાનમાં રાખી SPG કમાન્ડોની ટીમ તૈનાત કરાઈ છે. ત્યારે આવતી કાલે 7 ટીમ રાજકોટ આવી પહોંચશે.
તેમજ PM મોદીની જે ગ્રાઉન્ડમાં જનસભાનું આયોજન કરાયું છે ત્યાં 5 ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ જનસભામાં દોઢ લાખ જનમેદની ઉમટી શકે છે. આ ઉપરાંત એરપોર્ટથી યોજાનાર રોડ-શો પર સ્ટેજ બનાવી સાંસ્કૃતીક કાર્યક્રમો રજી કરાશે. તે માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
PM મોદીના હસ્તે 6000 કરોડથી વધુના વીકાસના કામોનું લોકાર્પણ કરાશે જેમાં રાજકોટના નાનામવા ચોક ખાતે નવનીર્મીત પૂલ, રામદેવપીર ચોકડી તથા સીવીલ હોસ્પીટલ ચોક ખાતેના ઓવરબ્રીજ, સાયન્સ મ્યુઝીયમ, એઈમ્સનો ટીપી રોડ, લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ રાજકોટ-ગોંડલ-જેતપુર સીક્સવેન હાઈવે, અમૂલ પ્લાન્ટ, નાગલપર-છાપરા-ખીરસરા-પીપરડી GIDC, રેલવે પેસેન્જર એમ્યુનીટી, રાજકોટ-જામનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણનું ખાતમુહુર્ત કરવામાં આવશે.