માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સત્ય નડેલાએ કહ્યું છે કે, ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત થવું તેમના માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે તેઓ ભારતભરના લોકો સાથે મળીને કામ કરવા માંગે છે જેથી કરીને તેઓ વધુ હાંસલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે. જણાવી દઈએ કે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સલ જનરલ ડૉ. ટીવી નાગેન્દ્ર પ્રસાદે ગયા અઠવાડિયે નડેલાને ઔપચારિક રીતે આ સન્માન આપ્યું હતું. 55 વર્ષીય નડેલા આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારત આવવાની યોજના ધરાવે છે.
પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવા પર, નડેલાએ કહ્યું, “પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવું અને ઘણા અસાધારણ લોકો સાથે ઓળખાણ મેળવવી એ સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ભારતના લોકોનો આભારી છું. હું ભારતભરના લોકો સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છું જેથી તેઓને વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ મળે.”
નડેલા અને ડૉ. પ્રસાદ વચ્ચે ભારતમાં સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવામાં ડિજિટલ ટેક્નોલોજીની મુખ્ય ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ નડેલાએ કહ્યું કે, “આવતો દાયકો ડિજિટલ ટેક્નોલોજીનો હશે. ભારતીય ઉદ્યોગો અને તમામ કદના સંગઠનો ટેક્નોલોજી તરફ વળ્યા છે જે નવીનતા, લડાઈ અને કાર્યક્ષમતાને આગળ વધારશે.”
હૈદરાબાદમાં જન્મેલા નડેલા ફેબ્રુઆરી 2014માં માઈક્રોસોફ્ટના CEO બન્યા હતા અને જૂન 2021માં તેમને કંપનીના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા.