ભાવનગર થી અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને આજરોજ લીલી ઝંડી આપી રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી તેમજ સાંસદ ડો.ભારતીબેન શિયાળ એ પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે મંત્રાલય દ્વારા ભાવનગર-સાબરમતી-ભાવનગર ડેઇલી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવામાં આવશે. જે ટ્રેન ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતેથી ઉપડી સિહોર, બોટાદ, ઘંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર, ગાંધીગ્રામ થઈ સાબરમતી રેલ્વે સ્ટેશન પહોંચશે. ભાવનગર ટર્મિનસથી સવારે ૬:૦૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે અને સાંજે ૧૬:૦૦ કલાકે સાબરમતી સ્ટેશન ખાતેથી ઉપડી તે જ દિવસે ૨૦:૩૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોચશે. આ ટ્રેનનો લાભ ભાવનગર સહિત બોટાદ અને અમદાવાદના લોકોને આવવા-જવા માટે સસ્તું અને સરળ માધ્યમ બની રહેશે. આ તકે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, અમદાવાદ-ભાવનગર ઇન્ટરસીટી ટ્રેન થકી બે જિલ્લાનું જોડાણ આજે થયું છે. જનતાની આકાંક્ષાઓને સરકાર દ્વારા સાર્થક કરવામાં આવી છે. ભાવનગર થી અમદાવાદ જવા માટે અગાઉ સુરેન્દ્રનગર થઈને જતી હોવાથી વધુ સમય જોવા મળતો હતો, પરંતુ હવે ભાવનગર થી અમદાવાદ જતી ટ્રેન બોટાદ થઈ જશે. જેથી સમયમાં પણ બચત થશે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા એક વિઝન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ભાવેણાની જનતા ઓછા ખર્ચે અને સરળ માધ્યમ થકી અન્યત્ર સ્થળે પહોંચી શકશે. ભાવનગર જિલ્લાની સાથે અમદાવાદ અને બોટાદની જનતાને પણ આ ટ્રેનનો લાભ જોવા મળશે. શિક્ષણમંત્રી દ્વારા ભાવેણાની જનતાને દીપાવલીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું કે, ધનતેરસના પવિત્ર તહેવારનો લાભ ભાવેણાની જનતાને મળ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક રીતે ગુજરાત રાજ્યના વિકાસ માટે કામો કરી ગુજરાતને વિકાસનુ મોડલ ગણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, પરિવહન માટે રેલવે દ્વારા અનેક નવીનતમ સુવિધાઓ ઉભી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરની કનેક્ટિવિટીમાં આજે વધારો કર્યો છે. છેવાડાના માણસો પણ સસ્તાભાવે પરિવહન કરી શકે તે માટે રેલવે દ્વારા ઓછા ખર્ચે અને સરળતાથી પરિવહન કરી શકાય તે માટે રેલવે વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. ભાવનગરથી અમદાવાદ, સુરત અને મુંબઇ જેવા શહેરો સાથે કનેક્શન થકી લોકોને પરિવહન માટે સરળ માધ્યમ ઉપલબ્ધ થયું છે. ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલ હોવાથી પરિવહન એક મહત્વનું માધ્યમ બની રહ્યુ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ તકે ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, ભાવનગરની જનતાની સેવામાં આજે વધારો થયો છે. ભાવનગરની કનેક્ટીવીટીમાં અનેક નવા માર્ગ, રેલવે, હવાઈ અને જળ સેવામાં અનેક કનેકટીવિટી જોવા મળી છે. જેથી ભાવનગરના વિકાસના દ્વારો ખુલશે અને વિકાસની દિશામાં આગળ વધશે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, શહેર ભા.જ.પ.પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ રેલ્વે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં